ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક, 2023’ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. જોગવાઈનો ભંગ કરનાર શાળા સંચાલકોને રૂ.2 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે.
ગુજરાતમાં ભણવું હશે તો ફરજીયાત ગુજરાતી ભાષા ભણવી પડશે. ફરજીયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અંગેનું બિલ વિધાનસભામાં સર્વાનુમતી સાથે પાસ થયુ છે. કોંગ્રેસ અને AAP એ પણ ફરજીયાત ગુજરાતી શિક્ષણ બિલને ટેકો આપ્યો છે. ધોરણ 1 થી 8 ની શાળાઓએ ગુજરાતી વિષય ફરજીયાત ભણાવવાનો રહેશે. હવેથી કોઇપણ બોર્ડ હોય તમામ બોર્ડની શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવું ફરજીયાત રહેેશે. તો જે શાળામાં ગુજરાતી નહીં ભણાવવામાં આવે તેમની સામે કાર્યવાહી કરવા સુધીની જોગવાઇ આ બિલમાં કરવામાં આવી છે.
વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રીએ બિલ મૂક્યું.
રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર વિધાનસભા ગૃહમાં ફરજીયાત ગુજરાતી ભાષામાં શિક્ષણ અને અભ્યાસ બાબતનું બિલ રજૂ કરાયું. જે અંતર્ગત ગુજરાતભરની તમામ શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ફરજીયાત ભણાવવું પડશે. રાજ્યમાં ચાલતી દરેક બોર્ડ સ્કૂલોને આ નિયમ લાગુ પડશે. 2023-24ના શૈક્ષણિક વર્ષથી ફરજિયાત ગુજરાતીનો નવો કાયદો લાગુ થશે.અંગ્રેજી ભાષાના સ્કોપના વર્ગો શરૂ કરવામાં આવ્યા. હાઇકોર્ટના ચુકાદામાં સરકાર કાયદો લાવે તેવો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. ગુજરાત બહારના વિદ્યાર્થીઓને મુક્તિ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી ફરજિયાત છે. સમગ્ર દેશમાં થ્રિ ભાષા ફોર્મ્યૂલા અમલમાં છે. ગૃહના તમામ સાથીમિત્રો વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત કરી તેવી વિનંતિ છે. વિદ્યાર્થીઓ લોકબોલી અને ગુજરાતી ભાષા સાથે તાલમેળ થાય તે માટે સાહિત્યનું નિર્માણ આપણે કરેલું છે. રાજ્યમાં 31 હજાર કરતાં વધુ પ્રાથમિક શાળાઓ છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, દેશની સર્વોચ્ચ અદાલતે કોઈ પણ રાજ્ય તેની પ્રાદેશિક ભાષા ફરજિયાતપણે શીખવવા માટે નીતિગત નિર્ણય લઈ શકે તે દરખાસ્તને પોતાના ચુકાદામાં માન્ય રાખી છે. આ ચુકાદામાં એવું પણ અવલોકન કરવામાં આવ્યું છે કે પ્રાદેશિક ભાષા શીખવાનો પ્રતિકાર બાળકોને જીવનના મુખ્ય પ્રવાહથી વિખૂટા પાડી દેશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦ એ પણ માતૃભાષામાં ત્રણ ભાષાની ફોર્મ્યુલા અને શિક્ષણને માન્યતા આપી છે. પંજાબ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોએ તેમની સંબંધિત પ્રાદેશિક ભાષાઓને જરૂરી બનાવતા કાયદાઓ પસાર કર્યા છે
કોંગ્રેસે વખાણ કર્યાં
આજે વિધાનસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ વિદ્યા સમીક્ષા કેન્દ્રના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા પર દેખરેખ રાખવા અને સુધારવા માટે શિક્ષણ વિભાગના પ્રયાસો પ્રશંસનીય છે અને આ પ્રયાસોના પરિણામ ૨-૫ વર્ષમાં ચોક્કસ આવશે. તેમણે તમામ ધારાસભ્યોને વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવા અને રાજ્યભરની શાળાઓમાં શિક્ષણ સુધારવા માટે કેટલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે સમજવાની પણ અપીલ કરી હતી
રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હવેથી ધોરણ 1થી 8 સુધી ગુજરાતી ભાષાનું ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે. ગુજરાતી ભાષામાં શિક્ષણ-અભ્યાસ વિધેયક ગૃહમાં સર્વાનુમતે પસાર થઈ ગયું છે. સુધારા પ્રમાણે ધોરણ-1 અને 2માં વિધેયક લાગુ રહેશે. જોગવાઈનો ભંગ કરનાર શાળા સંચાલકોને રૂ.2 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ બીલમાં કરવામાં આવી છે.