ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ આજે 11 વાગ્યે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી શકે છે. કોંગ્રેસના વધુ ધારાસભ્યોની વિકેટ ખરવાના એંધાણ સેવાઈ રહ્યાં છે. કોંગ્રેસના વધુ ધારાસભ્યો પક્ષને અલવીદા કરી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપને મોટા ઝટકા લાગી શકે છે. એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટનાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
1990 બાદ પ્રથમ વખત ખંભાતમાં કોંગ્રેસ જીત્યું ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની 3711 મતોથી જીત થઈ હતી. ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આપના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો. ભાજપાના ગઢ ગણાતા ખંભાતમાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી. કોંગ્રેસ પાર્ટીએ દમદાર અને લોકપ્રિય ઉમેદવાર ચિરાગ પટેલને ટિકિટ આપી હતી અને તેમની જીત થઈ હતી. ચિરાગ પટેલને 69,069 મત મળ્યાં હતાં. જેની સામે ભાજપના મહેશ રાવલને 65,358 મત મળ્યાં હતાં. આમ, ભાજપની 3711 મતે હાર થઇ હતી. ખંભાત ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 108 નંબરની બેઠક છે, જે આણંદ લોકસભામાં આવે છે.