આણંદ શહેરના હાર્દસમા સ્ટેશન રોડ ઉપર આવેલા કિશોર પ્લાઝા પાસે ગઈકાલે સમી સાંજના સુમારે પલ્સર બાઈક પર આવી ચઢેલા બે લુંટારાઓએ આધેડ મહિલાના ગળામાંથી સોનાનું સવા બે તોલા કિંમતનું મગળસુત્ર લુંટીને પળવારમાં ફરાર થઈ જતા આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ખેતીવાડી રોડ ઉપર આવેલા એનડીડીબી ક્વાર્ટર્સમાં રહેતા પ્રફુલાબેન શ્રીનિવાસ વુરા (ઉ. વ. ૫૪)ગઈકાલે સાંજના સુમારે બ્લાઉઝ સીવડાવવાનો હોય, ક્રિશ્ના રોડ ઉપર આવેલા પુજન ટેલરની દુકાને આવ્યા હતા. જ્યાં માપ આપીને પરત જવા નીકળ્યા હતા. દરમ્યાન ગાયત્રી આયુર્વેદિક સ્ટોર સામેથી પસાર થતા હતા ત્યારે સામેથી એક પલ્સર બાઈક પર બે શખ્સો સવાર થઈને એકદમ તેમની નજીક આવી પહોંચ્યા હતા અને તેઓ કાંઈ સમજે તે પહેલા જ પાછળ બેઠેલા શખ્સે તેમના ગળામાં હાથ નાંખીને સવા બે તોલા વજનનું મંગળસુત્ર કે જેની કિંમત ૧.૨૫ લાખ રૂપિયા જેટલી થવા જાય છે તે તોડીને લુંટ કરી પુરપાટ ઝડપે ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પ્રફુલ્લાબેને બુમાબુમ કરતા આસપાસના દુકાનોવાળા તેમજ રાહદારીઓ એકત્ર થઈ જવા પામ્યા હતા અને પલ્સર બાઈકની શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. ઘટનાની જાણ શહેર પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ આવી પહોંચી હતી અને પ્રફુલ્લાબેન પાસેથી વિગતો મેળવીને તેમની ફરિયાદને આધારે ગુનો દાખલ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મંગળસુત્ર તોડી લેનાર શખ્સે માથે લાલ કલર જેવી ટોપી પહેરી હતી. પોલીસે આસપાસની દુકાનોના સીસીટીવી કેમેરાના ફુટેજ એકત્ર કરીને તેના આધારે બન્ને લુંટારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.