સેવાલિયા : ગળતેશ્વર તાલુકાના વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશનના પમ્પ હાઉસ પાસેથી પાઈપ મારફતે પાણી સાથે ક્રૂડઓઈલ મહીસાગર નદીમાં છોડાઈ રહ્યું છે. ત્યારે નદીના પાણીમાં કેમિકલના થર જામેલા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. જેના કારણે લોકાના આરોગ્ય સામે ખતરો ઉભો થવા સાથે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઈ છે. આ ઘટના જોતા મહીસાગર નદીમાં નહાવા કે તેનું પાણી પીતા ચરોતર વાસીઓએ ચેતવું જરૂરી બન્યું છે. ગળતેશ્વર તાલુકામાંથી પસાર થતી લોકમાતા મહીસાગરમાં કેમિકલવાળું પાણી ભળતા ગંદુ અને દૂષિત પાણી પીવાનો વારો આવશે. વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશન દ્વારા મહીસાગર નદીને પ્રદુષિત કરાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. પાવર સ્ટેશનના પમ્પ હાઉસ પાસેથી પાઇપ મૂકીને દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં મોટા પાયે પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે.આ કેમિકલ યુક્ત ઝેરી પ્રદુષિત પાણીને કારણે નદી ની જીવસૃષ્ટીને ગંભીર નુકસાન થઈ રહ્યું છે.
વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના બોઇલર નંબર-૧ લીકેજ થતા તેમાંથી નીકળતું ક્રૂડઓઇલ પાવર સ્ટેશન દ્વારા પવિત્ર મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ક્રૂડઓઇલ છોડવામાં આવતા મહીસાગર નદીમાં ઓઇલના થર જામી ગયેલા પણ જોવા મળી રહ્યા હતા. આસપાસના રહીશો અવારનવાર નદીને પ્રદૂષિત કરનારાઓ સામે રોશે ભરાયા છે. પવિત્ર નદીને દૂષિત થતી અટકાવી જવાબદારો સામે પગલાં લેવામાં નહીં આવે તો આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની સ્થાનિક લોકોએ ચિમકી ઉચ્ચારી છે.
પાણીમાં કેમિકલ ભળવાના કારણે જળચર તેમજ તેના પર નભતા પક્ષીઓના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે,દીનું ઝેરી કેમિકલ યુક્ત પાણી પશુઓને પણ પીવાલાયક રહ્યું નથી.ત્યારે આ બાબતે જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દાખલારૂપ કાર્ય કરે એ જરૂરી બનતું જાય છે. ત્યારે જીપીસીબી સહિતનું તંત્ર ત્વરિત આ સંદર્ભે જાગે અને કાર્યવાહી કરે તેવી લાગણી અને માંગણી ઉઠી રહી છે.