આણંદ: જિલ્લાના ખંભાત તાલુકાના ધુવારણ મહીકાંઠા ધાર્મિક સ્થળો અને નદી કિનારાઓએ સોમવતી અમાસ નું ખાસ ધાર્મિક મહત્વને લઇ તેના નિમિત્તે સવારથી દુરદુરથી ભાવિકજનો ઉમટયા હતા. ધુવારણ મહિસાગર કિનારા સ્થિત શિવ મંદિરોમાં વિવિધ પ્રકારે શિવપૂજા-અર્ચના કરવામાં આવી હતી. પુષ્પો અને શણગાર દ્વારા શિવલિંગ અને મંદિરને શણગાર કરાયો હતો. અમાસ નિમિત્તે શ્રદ્વાળુઓ મહીસાગરમાં ડૂબકી લગાવી શિવપુંજા તથા પીપળે પ્રદિક્ષણા કરીને જળ ચડાવવામાં આવ્યું હતું.
ખાસ કરીને ધુવારણ , વાસદ, બદલપુરા, કંકાપુરા, ગળતેશ્વર વહેરાખાડી સહિતના નદી કાંઠાના સ્થળોએ શ્રદ્વાળુઓની સવારથી ભીડ જોવા મળી હતી. શાસ્ત્રોમાં સોમવતી અમાસે નદીસ્નાનનો મહીમા હોઇ અનેક યાત્રાળુઓ ખાસ વાહન કરીને નદી કિનારે આવ્યા હતા. નદી સ્નાન સમયે કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે સ્થાનિક સેવાભાવિ યુવાનો તથા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
ધુવારણમાં શ્રી ઈન્દ્રધુમેશ્વર મંદિર, અને ગામમાં શ્રી સિદ્ધેશ્વર મંદિરના શિવાલયોમાં શિવજીની વિશેષ પૂજા-અર્ચના સાથે તથા સાર્વજનિક ધાર્મિક મંદિરના પરિસરમાં અનેક વિધિયોગ તથા રુદ્રાભિષેક, લઘુરુદ્ર સહિતના ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા તથા ધુવારણ ગામ અગ્રણીઓ માં વાસુદેવસિંહ સિંધા તથા સામંતસિંહ તથા બીજા અનેક સેવાભાવીઓ દ્વારા શ્રી ઇન્દ્રધુમેશ્વર મંદિરના પરિસરમાં આવનાર દર્શનાર્થીઓ માટે ભોજન વ્યવસ્થા પૂરી પાડી હતી,તથા પાણી વ્યવસ્થા કરવામાં આવી હતી.