રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ અનાજ મેળવતા સેંકડો રેશનકાર્ડ ધારકો ઇ-કેવાયસીના કારણે ફેબ્રુઆરી મહિના પછી માર્ચ મહિનાના અંત સુધીમાં પણ અનાજ મેળવવાથી વંચિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે જ લાખો રેશનકાર્ડ ધારકો છેલ્લા બે મહિનાથી ઇ-કેવાયસી અપડેટ કરાવવા ફાંફાં મારી રહ્યા છે અને અનાજ ન મેળવી શકતા રોષની લાગણી ઊભી થઇ રહી છે.
રાજ્ય પુરવઠા વિભાગ દ્વારા ઇ-કેવાયસીની સમસ્યાનો ઝડપી નિકાલ લાવવામાં ન આવી રહ્યો હોવાથી આણંદ જિલ્લામાં પણ કાર્ડધારકો પરેશાન થઇ રહ્યાં છે. છેલ્લાં બે માસથી 1138 કાર્ડધારકો અનાજ ન મળવાથી આર્થિક બોજ વેંઢારી રહ્યાં છે. માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં પણ અનેક કાર્ડધારકોના ઇ-કેવાયસી બાકી હોવાના કારણ સાથે તેમના અનાજના જથ્થાને રોકી દઇને કાર્ડ બ્લોક કરી દેવાયા હતાં.
રેશનિંગના દુકાનદારો દ્વારા આવા રેશનકાર્ડ સાયલન્ટ કરી દેવાતા કાર્ડધારકો દ્વારા ઝોનલ કચેરીએ રજૂઆત કરવા જવા દરમયાન તેમને ઇ-કેવાયસી કરાવવાનો જવાબ મળી રહ્યો છે. કેટલીક દુકાનોમાં અનાજનો જથ્થો હોવા છતાં ઓનલાઇન સીસ્ટમ મુજબ કાર્ડધારકની રેશન કુપન જનરેટ થઇ શકતી નથી, તેથી કાર્ડધારકોને માર્ચ મહિનાના અંત સુધીમાં અનાજ મળવા પામ્યું ન હતું.
ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ હેઠળ 272638 કાર્ડધારકો છે. જેમાં ઇ-કેવાયસી મામલે મૂંઝવણ અનુભવતા કાર્ડધારકો પૈકી કેટલાકનું કહેવું છે કે અનાજ મેળવવાની પાત્રતા ધરાવતા તમામ પુરાવાની બીજી નકલ જોડીને અન્ન સુરક્ષા યોજના માટેનું ફોર્મ ભરીને સબમીટ કરાવી દીધું હોવા છતાં ફરીથી ઓનલાઇન ઇ-કેવાયસી કરાવવાની સમસ્યા જોવા મળી રહી છે. ઇ-કેવાયસી માટે કાર્ડમાં લખેલા નામ મુજબના વ્યક્તિઓ એકસાથે ઝોનલ કચેરીમાં આધારકાર્ડ લઇને જાય ત્યાર તે દરેકના અંગૂઠાના ઇમ્પ્રેશન લઇ અધિકારી મૂકાવે તે પછી જ બંને લીંક થતા હોય છે અને વેરીફીકેશન થયા બાદ અનાજ અપાય છે.વ્યક્તિગત રીતે કાર્ડ ધારક એન્ડ્રોઇડ મોબાઇલ ફોનથી તે પ્રક્રિયા કરી શકે છે તેમાં લાઇવ ફોટો અને દરેક સભ્યની અલગ ઇ-કેવાયસી કરી શકાય છે પરંતુ તેમાં સર્વર ગોકળગાયની ગતિએ ચાલતું હોવાથી લાંબો સમય જાય છે .